New Delhiતા.26
UPના સંભલમાં ભડકેલી હિંસા અંગે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન બહાર આવ્યું છે. રાહુલ ગાંધીએ આ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે અને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંભલ, ઉત્તર પ્રદેશમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. પ્રશાસન દ્વારા તમામ પક્ષોને સાંભળ્યા વિના અને અસંવેદનશીલતાથી કરવામાં આવેલી કાર્યવાહીથી વાતાવરણ વધુ ખરાબ થયું અને ઘણા લોકોના મૃત્યુ થયા છે.
જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપ દ્વારા હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે તિરાડ અને ભેદભાવ ઉભો કરવા માટે સત્તાનો ઉપયોગ ન તો રાજ્યના અને ન તો દેશના હિતમાં છે.
રાહુલે આગળ કહ્યું કે, ‘હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે તે આ મામલે જલદી દરમિયાનગીરી કરે અને ન્યાય કરે. ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.
પ્રિયંકા ગાંધીએ પણ સંભલ કેસ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વહીવટીતંત્રે કોઈપણ તપાસ વિના અથવા બંને પક્ષોને વિશ્વાસમાં લીધા વિના ઉતાવળમાં પગલાં લીધાં છે. ‘ઉત્તર પ્રદેશના સંભલમાં અચાનક થયેલા વિવાદને લઈને રાજ્ય સરકારનું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
બીજી બાજુ સાંભળ્યા વિના અને બંને પક્ષોને વિશ્વાસમાં લીધા વિના વહીવટીતંત્રે આટલી સંવેદનશીલ બાબતમાં જે ઉતાવળમાં પગલાં લીધાં તે દર્શાવે છે કે, સરકારે જ વાતાવરણ બગાડ્યું છે. પ્રશાસને જરૂરી કાર્યવાહી અને ફરજોનું પાલન કરવું જરૂરી માન્યું ન હતું.