Surat,તા.09
દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ જેવી સમકક્ષ હોવાની વાત વચ્ચે નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના એક ઓપરેશન થિયેટરમાં અઠવાડિયાથી એ.સી બંધ હોવાથી ઘુંટણની સર્જરી ડીલે થઈ રહી હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા છે.નવી સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ કે, ઓર્થોપેડિક વિભાગના ત્રણ ઓપરેશન થિયેટર છે. જેમાં બે ઓપરેશન થિયેટરમાં રાબેતા મુજબ સર્જરી કરવામાં આવે છે. જોકે મોડયુલર ઓપરેશન થિયેટરમાં જોઇન્ટ રિપલેસમેન્ટના એટલે કે, ઘુંટણની સર્જરી કરવામાં આવે છે. તે ઓ.ટીનો એ.સી આજે સાંજે સુધીમાં રિપેરીંગ થઇ ગયુ હોવાનું પી.આઇ.યુના સ્ટાફે મને કહ્યુ હતુ. ઓર્થો.ના ડોકટરના રિપોર્ટ મુજબ અઠવાડિયામાં ઓર્થો. ની ઓ.ટીમાં ૯૦ થી વધુ ઓપરેશન કર્યા છે. જોકે આ દર્દીના ઓપરેશન પહેલાના જરૃરી તપાસ કે ફિટનેસ માટે ટેસ્ટ કરાવ્યા છે. તે ફિટ થઇ જાય એટલે એક-બે દિવસ ઓપરેશન થઇ જશે.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં નીલગીરી ખાતે રહેતા ૫૨ વર્ષીય સંભાજીભાઈ પાટીલ ને છેલ્લા દોઢ વર્ષથી ઘૂંટણમા દુખાવા હોવાથી ચાલવામાં તકલીફ હોવાથી નવી સિવિલના ઓર્થોપેડીક વિભાગમાં તપાસ કરાવાયા બાદ તા.૧ એપ્રિલે કિડની બિલ્ડીંગના છઠ્ઠા માળે ઓર્થોપેડીક વિભાગમાં દાકળ કરાયા હતા. અને બે દિવસમા ંઓપરેશન થઇ જશે એમ વોર્ડ સ્ટાફે કહ્યુ હતું. પણ બે દિવસ બાદ પુછપરછ કરતા જણાવાયું કે, ઓપરેશન થિયેટરમાં એ.સી બંધ છે. તેમને સર્જરી માટે અન્ય તારીખ અપાઇ છે. આવા ચારેક દર્દીઓએને ઘુંટણની સર્જરી માટે તારીખ અપાઇ હતી પણ સર્જરી એ.સીને લીધે ઘોંચમાં પડતા હાલાકી ભોગવી રહ્યા છે.