Rajkot, તા.5
રાજકોટમાં બાલમુકુંદ એન્ટરપ્રાઈઝ, રાજદેવ શેરી, સાંગણવા ચોક ખાતે રહેતા રાહીલ ચેતન નાગ્રેચા અને પુષ્પાબેન ચેતન નાગ્રેચા બંનેને ચેક રિટર્ન કેસમાં કોર્ટે 6 માસની કેદની સજાનો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, બંને આરોપી દીનાનાથ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સભાસદ હતા. તે દરજજે જાત-જામીનની લોન લીધેલ. જેમાં રાહીલે લોનના ચડત હપ્તા પેટે રૂ.34,075નો ચેક આપેલો.
જે ફંડસ ઈન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જ્યારે પુષ્પાબેને લીધેલ લોનના ચડત હપ્તા સહિત રકમ ચુકવવા રૂ.49,050નો ચેક આપેલો. જે પણ રિટર્ન થતા બંનેને કાનૂની નોટિસ પાઠવવા છતાં રકમ ન ચુકવતા રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – 138 હેઠળ બે જુદી જુદી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદી મંડળીના વકીલે કરેલી લેખિત – મૌખિક દલીલો, દસ્તાવેજી પુરાવાઓ, ટાંકેલા વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ રાજકોટના ચીફ જ્યુ. મેજી. જે. એસ. પ્રજાપતિએ બંને કેસમાં આરોપીઓને તકસીરવાન ઠેરવી બંને આરોપીને 6-6 માસની કેદની સજા તથા ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના સાદા વ્યાજે વળતર તરીકે 1-માસમાં ન ચૂકવે તો વધુ 1 માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી મંડળી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હેમલ બી. ગોહેલ અને કોમલ એસ. કોટક રોકાયેલા હતા.