Jammu and Kashmir,તા.28
વિવાદ વિના કામ કરવા વિશે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, ‘તો પછી કેજરીવાલ જેવા પરિણામો માટે તૈયાર રહેવું પડે. હું જમ્મુ-કાશ્મીરની જનતાના સારા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યો છું.’ નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ઓમર અબ્દુલ્લાહે INDIA ગઠબંધનની એકતા પર પણ પ્રશ્ન ઊભા કર્યાં હતાં.
એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, ‘ભાજપના ઘણા કામથી અમે અસંમત છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. અમે રાજકીય રૂપે ભાજપનો વિરોધ કર્યો છે અને આગળ પણ કરતાં રહીશું. અમે INDIA બ્લોકના સભ્ય છીએ અને જ્યાં સુધી આ ગઠબંધન રહેશે, ત્યાં સુધી તેનો ભાગ રહીશું. પરંતુ, અહીં જમ્મુ-કાશ્મીરની જનતાના સારા માટે જમ્મુ-કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા વિશે વાત કરી રહ્યા છીએ.’
મુખ્યમંત્રી અબ્દુલ્લાહે કહ્યું કે, ‘સમાધાનનો કોઈ સવાલ જ નથી. અમુક વસ્તુ જે ભારત સરકાર કરી રહી છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. જેમકે, વક્ફ બિલને લઈને સંસદમાં જે થઈ રહ્યું છે, તેમાં અમારો વિરોધ છે. પરંતુ, જો કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં અમારા કામને સમર્થન કરી રહી છે અને મુશ્કેલી ઊભી નથી કરી રહી અથવા ભંડોળ આપવાથી ઇન્કાર નથી કરી રહી તો અમે તેમની સાથે ઝઘડો કરીએ તે મૂર્ખામી હશે. જો કાલે તેમનું વર્તન બદલાય છે, તો અમારે પોતાના વલણનો પણ વિચાર કરવો પડશે, પરંતુ, હાલની સ્થિતિમાં સરકારે આવું કોઈ કારણ મને નથી આપ્યું, જેના કારણે હું તેમની સાથે ઝઘડો કરું. ભારત સરકાર સાથે જે સ્તરે મારી ચર્ચા થઈ છે, મને આશા છે કે, જમ્મુ-કાશ્મીરને એક વર્ષથી ઓછા સમયમાં રાજ્યનો દરજ્જો પાછો મળી જશે.
8 ફેબ્રુઆરીએ જ્યારે દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી અબ્દુલ્લાહ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. પરિણામ દરમિયાન તેમણે એક મીમ શેર કરીને લખ્યું કે, ‘હજુ લડો એકબીજા સાથે!’ દિલ્હીમાં 10 વર્ષ શાસન કર્યાં બાદ 2025 ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખાતામાં 70માંથી 22 બેઠક આવી છે. જોકે, ભાજપે પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવી હતી. વળી બીજી બાજું કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી ન હતી.