New Delhi, તા.11
યુએસ ટેરિફ વચ્ચે ભારતમાં ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોને જે નુકસાન થઈ રહ્યું છે તેનું મૂલ્યાંકન કરવા માટે સરકારી સ્તરે શ્રેણીબદ્ધ બેઠકો શરૂ થઈ છે. માનવામાં આવે છે કે વિસ્તૃત ચર્ચા બાદ સરકાર તેમના માટે મોટી રાહતની જાહેરાત કરી શકે છે.
નિકાસકારો અને ઉદ્યોગસાહસિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નિકાસમાં મુશ્કેલીઓ થઈ રહી છે. સૌપ્રથમ, લાલ સમુદ્રની કટોકટી, ગલ્ફ ક્ષેત્રમાં ફેલાયેલ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ, રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે નિકાસને અસર થઈ હતી. હવે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે બિઝનેસને પણ અસર થશે. નિકાસકારોએ વિવિધ પ્રકારની છૂટની માંગણી કરી છે.
અનેક રાઉન્ડમાં બેઠકો: સરકાર સાચી સ્થિતિ જાણવા માટે તે નિકાસકારો તેમજ વિવિધ પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે વાત કરશે. ત્યાર બાદ બિઝનેસ સંબંધિત નિર્ણયો લેવામાં આવશે.
સરકાર ઉદ્યોગને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે પરંતુ તે પહેલા તે સ્થિતિનું યોગ્ય આકલન કરવા માંગે છે. બીજી તરફ આર્થિક સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવએ કહ્યું છે કે ભારતે અમેરિકા સાથે ઝીરો ડ્યુટી કરાર પર વિચાર કરવો જોઈએ.
વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહેલા નુકસાન વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં પણ બેઠક યોજાવાની છે. નિકાસકારો સાથે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે, જેમાં નિકાસકારોએ સમગ્ર મામલો વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ મૂક્યો હતો.