Ahmedabad,તા.15
૧૪ એપ્રિલે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મુંબઈ ડોકયાર્ડની દુર્ઘટનામાં શહીદોની યાદમાં નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે નામી-અનામી શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.૫૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતા અમદાવાદમાં હાલમાં ૫૦ના બદલે હાલમાં ૧૯ ફાયર સ્ટેશન છે.ગોતા અને ત્રાગડમાં બે નવા ફાયર સ્ટેશન હાલમાં બની રહયા છે.શિડયુઅલ ઉપર ૭૫૦ જગ્યા સામે ૫૫૮નો સ્ટાફ અંગારકોલ,બચાવકોલ સહિત પક્ષી બચાવવાના કોલ એટેન્ડ કરતો હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.દરરોજના સરેરાશ ૨૫ અંગારકોલ મ્યુનિ.હદ અને બહારના વિસ્તારમાંથી ફાયર વિભાગને મળી રહયા છે.વર્ષ-૨૦૨૩-૨૪માં ફાયર વિભાગને ૨૪૮૩ અંગારકોલ મળ્યા હતા.વર્ષ-૨૦૨૪-૨૫માં અંગારકોલની સંખ્યા વધીને ૨૮૩૫ ઉપર પહોંચી હતી.
વર્ષ-૨૦૦૧માં રાજયની સાથે અમદાવાદમાં આવેલા ભૂકંપ સમયે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીને દેશ અને વિદેશમાં પ્રશંસા કરાઈ હતી. વિનાશક ભૂકંપ પછી અમદાવાદ ફાયર વિભાગને દેશ અને વિદેશમાંથી અદ્યતન કહી શકાય એવા ફાયર અને રેસ્કયૂના વાહન પણ આપવામાં આવ્યા હતા. ૨૫ વર્ષમાં સમય બદલાયો છે.હાલ અમદાવાદ મ્યુનિસિપલ હદનો વિસ્તાર વધીને પાંચસો ચોરસ કિલોમીટરથી પણ વધુનો થઈ ગયો છે. સ્ટેન્ડિંગ ફાયર એડવાઈઝરીની ગાઈડલાઈન મુજબ,દર દસ ચોરસ કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ.તેની સામે હાલમાં ૧૯ ફાયર સ્ટેશન જ કાર્યરત છે.ગોતા અને ત્રાગડ ખાતે બની રહેલા ફાયર સ્ટેશનની કામગીરી ૩૦થી ૪૦ ટકા જેટલી પુરી કરી શકાઈ છે.અઢી દાયકા જેટલો સમય પસાર થવા છતાં અમદાવાદ ફાયર વિભાગના મહેકમ શિડયુઅલમાં કોઈ વધારો મ્યુનિસિપલ તંત્ર કરી શકયુ નથી.અપુરતા સ્ટાફની વચ્ચે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૩-૨૪ અને વર્ષ-૨૦૨૪-૨૫માં કુલ મળીને ૫૩૧૮ અંગારકોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.૧ માર્ચથી ૩૧ માર્ચ-૨૫ સુધીમાં ૩૫૨ અંગારકોલ ફાયર વિભાગે એટેન્ડ કર્યા હતા.૧થી ૧૨ એપ્રિલ-૨૫ સુધીમાં ૧૭૬ અંગારકોલ એટેન્ડ કરાયા હતા.
જગ્યા ભરાતી નથી છતાં પાંચ નવા ફાયર સ્ટેશન બનાવવા જાહેરાત
અમદાવાદ ફાયર વિભાગમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યા ભરવામાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ ગયુ છે.આમ છતાં શહેરના રાણીપ,લાંભા ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, રામોલ-હાથીજણ અને શાહીબાગ એમ પાંચ સ્થળે નવા ફાયર સ્ટેશન બનાવવા તંત્ર તરફથી જાહેરાત કરાઈ છે.
એક ફાયર સ્ટેશન બનાવવા ૮થી ૧૦ કરોડનો ખર્ચ, સ્ટાફ પણ જોઈએ
નવુ એક ફાયર સ્ટેશન બનાવવા અંદાજે રુપિયા ૮થી ૧૦ કરોડનો ખર્ચ થાય છે. આ ઉપરાંત ફાયર સ્ટેશનમાં કવાટર્સ બનાવવાની સાથે પુરતો સ્ટાફ પણ હોવો જરુરી છે. હાલમાં પુરતો સ્ટાફ નથી આપી શકતા તો નવા ફાયર સ્ટેશન માટે કેવી રીતે સ્ટાફ અપાશે એવી ચર્ચા ફાયર વિભાગના સૂત્રોમાં સાંભળવા મળી રહી છે.
૨૦ એમ્બ્યુલન્સ,૧૬ શબવાહીની સાથે એક વર્ષમાં ૪૫ હજારથી વધુ કોલ એટેન્ડ કરાયા
અમદાવાદ ફાયર વિભાગ પાસે ૨૦ એમ્બ્યુલન્સ અને ૧૬ શબવાહીની છે.નવી શબવાહીની ખરીદવા પ્રક્રીયા શરુ કરાઈ છે.વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ હદ અને હદ બહારના વિસ્તારમાંથી ફાયર વિભાગે એમ્બ્યુલન્સના ૧૭૨૮૨ તથા શબવાહીનીના ૨૮૨૯૪ એમ કુલ ૪૫૫૭૬ કોલ એટેન્ડ કર્યા હતા.
અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં બનેલી આગની મહત્વની ઘટના આ મુજબ છે.
૧.ખોખરાના પરિષ્કાર બિલ્ડિંગના પાંચમા માળે આગ,૧૮ લોકોને બચાવાયા
૨.પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાનાં પેકેજિંગ ગોડાઉનમાં ભીષણ આગ
૩.પાનકોરનાકા રમકડા માર્કેટની પાંચ દુકાનોમાં ભીષણ આગ
૪.ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબરકોલોનીમાં આગ, છ ઓરડી ખાખ
૫.સી.જી.રોડ ઉપર જવેલર્સની દુકાનમાં આગ,ફાયર વિભાગે દસ કિલો સોનુ બચાવ્યું