Gandhinagar,તા.૧૨
ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠક કડી અને વિસાવદર પર આગામી જૂન-જુલાઈમાં પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. કડી વિધાનસભા બેઠક ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક હાઈકોર્ટમાં ચાલતી ચૂંટણી પિટિશનના કારણે અટકેલી હતી. હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેમની પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.
વિસાવદર વિધાનસભા બેઠક પર ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. જોકે, હવે રીબડીયાએ પિટિશન પરત ખેંચી છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા માટેનો માર્ગ સાફ થયો છે. રાજકીય વલણો મુજબ, વિસાવદર બેઠક પર આગામી મહિનાઓમાં પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.