Dwarka,તા.03
વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. પ્રકૃતિ ચોમેર ખીલી ઉઠે છે. આની સાથોસાથ દ્વારકામાં કાળિયાઠાકોર સમક્ષ કાલાવાલા કરીને વસંતના વધામણા કરી વસંતપંચમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં આમ્રવૃક્ષ રોપી સૂકા મેવાનો મનોરથ કરાયો હતો.આજથી ફુલડોલ ઉત્સવ સુધી શિંગાર અને સંધ્યા આરતીમાં ઠાકોરજીને અબીલ ગુલાલથી ખેલાવાશે.
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં વસંતપંચમી ઉત્સવ ે પૂજારી પરિવાર અને ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ નિમિતે ઠાકોરજીના બાલસ્વરૃપને સૂકા મેવાનો મનોરથ ધરાવાયો હતો. આજના ખાસ દિવસે શ્રીજીને સફેદકલરના વસ્ત્રો સાથે સોના ચાંદી હીરાજડિત આભુષણનો અલૌકિક શૃગાર કરાયો હતો.
ખાસ વાત એ છે કે વર્ષમાં ઉજવાતા ઉત્સવોમાં વસંતપંચમી નિમિત્તે નીજમંદિર બપોરે એક કલાક ભાવિકોના દર્શનાર્થે ખૂલ્લુ રાખવામાં આવે છે એ મુજબ અહી મંદિર ખુલ્લુ રહેતા અનેક ભાવિકોએ દર્શન લાભ લીધો હતો. અને નીજ મંદિર બપોરના દોઢ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન વસંતના વધામણા સ્વરૃપે પૂજારી પરિવાર દ્વારા મંદિરના ગર્ભ ગૃહમાં આમ્રવૃક્ષ રોપવામાં આવ્યું હતુ.
અહી આજના દિવસે વસંતઋતુનું આગમન થાય છે. હવે આજથી ફુલડોલ ઉત્સવ સુધી શિંગાર અને સંધ્યા આરતીમાં ઠાકોરજીને અબીલ ગુલાલથી ખેલાવાશે.આ પરંપરા વસંતઋતુથી લઈ ફાગણ માસના હોળાષ્ટક સુધી ચાલુ રહે છે. ભગવાનને ધાણી દાળિયા ખજૂરનો ભોગ ધરાવવામાં આવે છે. આજે વસંતપંચમી નિમિતે શ્રીજીને વિશેષ શણગાર સાથે મહાઆરતી કરવામાં આવી હતી.