આશરે 3000. ચો .મી. જમીનમાં 16 કરોડનાં ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન
Rajkot,તા.05
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા લેસર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર રૂપિયા 16 કરોડનાં ખર્ચે બનાવવામાં આવનાર છે. આ માટે સિવિલ અધિક્ષક દ્વારા પીઆઈયું વિભાગ સાથે મળી કામગીરી વધારવામાં આવી છે. કલેક્ટર દ્વારા જીટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન PIU વિભાગ દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. જેના ઉપર સરકારની મહોર લાગતા જ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમજ આ પ્રોજેકટ સાકાર થતા સૌરાષ્ટ્રનાં ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ જવું પડશે નહીં. સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય સ્તરનું બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. આ માટે છેલ્લા આઠેક મહિનાથી વિચારણા ચાલતી હતી.સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયા દ્વારા કામગીરી આગળ વધારવામાં આવતા કલેક્ટર દ્વારા આ પ્રોજેકટ માટે જી. ટી. શેઠ હોસ્પિટલની બાજુમાં આશરે 3100-3200 મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે. આ માટેનો પ્લાન પીઆઈયુ વિભાગે સરકારમાં મુક્યો છે. . આ માટે કલેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલથી તદ્દન નજીક આવેલી જી. ટી. શેઠ હોસ્પિટલની બાજુમાં અંદાજે 3100-3200 મીટર જેવી જગ્યા ફાળવવામાં આવી છે. પીઆઈયુ વિભાગ દ્વારા આ જગ્યા ઉપર ચાર માળનું બિલ્ડીંગ બનાવવા માટેનો પ્લાન પણ સરકારમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. જેની મંજૂરી મળતા જ કામગીરી આગળ વધારવામાં આવશે. બર્ન્સ કેર સેન્ટરમાં સ્પેશિયલ ટાઈપનાં લેસરની સુવિધા આપવામાં આવશે. તેમજ દાઝી ગયેલા દર્દીની સારવાર કરવા માટેના રાષ્ટ્રીય સ્તરનાં આધુનિક સાધનો મુકવામાં આવશે. એટલું જ નહીં આ માટે ખાસ નિષ્ણાંત ડૉક્ટર્સ સહિતની ટીમોની નિમણુંક કરવામાં આવશે. આ માટે જુદા-જુદા 2 ફ્લોર બનાવવામાં આવ્યા છે. જેમાં પેશન્ટ રીસેપ્શન એરિયા, મેલ અને ફિમેલ તેમજ ચિલ્ડ્રન વૉર્ડ, ડ્રેસિંગ રૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર ઉપરાંત માઇનોર ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓનાં સગાઓને બેસવા માટેની સુવિધા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.જ્યારે ક્રિટિકલ કેર સેન્ટરમાં ઈમરજન્સી મેડીસીન અને સર્જરી તેમજ હાડકાનો વિભાગ રાખવામાં આવશે. આ ક્રિટિકલ કેર સેન્ટરમાં ઓપીડી ટાઈમ સિવાય કોઈપણ સમયે ઇમરજન્સી દર્દીઓ આવે તો તેને સીધા સારવાર માટે ખસેડાશે. અને ડોક્ટરો દ્વારા તેને ચકાસ્યા બાદ જે વિભાગમાં સારવાર આપવાની હશે તે વિભાગમાં દાખલ કરવામાં આવશે. અકસ્માત કે દાઝેલા દર્દી આવ્યા બાદ તેની સારવાર તુંરત ચાલુ થાય તે પ્રાથમિકતા રહેશે. આ તમામ સુવિધાનો લાભ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અંદાજે 40 લાખ કરતા વધુ દર્દીઓને મળી રહેશે.