Ahmedabadની નાલંદા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર,આભા કાર્ડનું ફોર્મ ભરીને ન લાવતા ધોઈ નાખ્યો

Share:

Ahmedabad,તા.01 

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયનો વિવાદ સામે આવ્યો છે. શાળાના એક શિક્ષકે વિદ્યાર્થી આભા કાર્ડનું ફોર્મ ભરીને ન લાવતા માર માર્યો હતો. જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીના વાલીએ આ મુદ્દે ફરિયાદ કરતાં શાળાના સંચાલકો દ્વારા શિક્ષક પાસેથી માફીપત્ર લખાવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

શું છે સમગ્ર વિવાદ? 

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં નાલંદા વિદ્યાલય નામની સ્કૂલ આવેલી છે. જ્યાં કિરીટ પટેલ નામના શિક્ષકે ધોરણ 9માં અભ્યાસ કરતાં કૌશલ દેસાઈ નામના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. શિક્ષકના મારના કારણે વિદ્યાર્થીને ગળાના ભાગે ઈજા થઈ હતી. સમગ્ર મુદ્દે વિદ્યાર્થીના વાલીએ શાળાએ આવીને ફરિયાદ કરી હતી. બાદમાં શાળાએ માર મારનાર શિક્ષક પાસેથી માફીપત્ર લખાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ

નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થીને માર મારવાનો વિવાદ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે AEI (Assistant Education Inspector) શાળામાં જઈને સ્થળ પર તપાસ કરશે. જેમાં શિક્ષકનું તેમજ વાલીઓનું નિવેદન નોંધવામાં આવશે. આ સિવાય શાળામાં હાજર સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે. જો આ સમગ્ર મુદ્દે વાલીનો દાવો સાચો નીકળશે અને શિક્ષકે માર માર્યો હશે, તો શિક્ષક સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આભા કાર્ડનું ફોર્મ ન ભરતા માર્યો માર

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી શાળાએ આભા કાર્ડ (Ayushman Bharat Health Account)નું ફોર્મ ભરીને નહતો લાવ્યો જેથી, શિક્ષકે તેને માર માર્યો હતો. જોકે, અહીં એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાત આભા કાર્ડ ફોર્મ ભરવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે? આ કામ શાળાના શિક્ષકોનું છે કે આરોગ્ય વિભાગનું? બીજી અગત્યની વાત એ છે કે, આભા કાર્ડ બનાવવું ફરજિયાત નથી તો બાળકો તેમજ વાલીને આ ફોર્મ ભરવા માટે મજબૂર કેમ કરવામાં આવે છે? 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *