Jamnagar,તા.04
જામનગર જિલ્લામાં ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચુંટણી માટે કુલ 331 ઉમેદવારીપત્રો ભરાયા બાદ તા. 3ના સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી વેળાએ ભાજપાએ ડમી તરીકે રજુ કરેલા 194 પૈકીના અમુક તથા જામજોધપુરમાં કોંગ્રેસ અને આપના મેન્ડેટ વગરના બે મળીને કુલ 96 ઉમેદવારીપત્રો ટેકનિકલ કારણોસર રદ થતાં 235 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. હવે આજે તા.4ની બપોર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ ચુંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાના 28 બેઠકોના 28 ડમીઓ સહિત 59. કોંગ્રેસના 28, આપના 19, બસપાના 9, એનસીપીના 1 તથા અપક્ષ તરીકે 15 ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાંથી ભાજપાના ડમી અને અન્ય ૩ ઉમેદવારોના મળીને કુલ 35 ઉમેદવારીપત્રો રદ થતાં ૮૭ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે.
જ્યારે કાલાવડમાં ભાજપાના કુલ 52, કોંગ્રેસના 34 તથા આપના 13 મળીને કુલ નોંધાયેલા 99 ઉમેદવારીપત્રોમાંથી ભાજપાના અમુક ડમી સહિત કુલ 31 ફોર્મ રદ થતાં 68 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. જ્યારે જામજોધપુરમાં ભાજપાના 28 ડમી, કોંગ્રેસના મેન્ડેટના અભાવે શ્રેયાબેન ઘરસંડીયા તથા આપના મેન્ડેટના અભાવે મનોજ જગદીશભાઈનું એમ કુલ 30 ઉમેદવારીપત્રો રદ થયા હતા. તેથી હવે જામજોધપુરમાં 80 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે તા.૪ના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પુરી થતા સુધીમાં કેટલા ઉમેદવારો ની ઉમેદવારી પાછી ખેંચાય છે. તે સામે આવ્યા બાદ ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે.