Gandhinagar , તા.18
ગુજરાતમાં દરરોજ હજારો વાહનોની નેશનલ હાઈવે પર અવરજવર થતી હોય છે. ત્યારે હવે જો નેશનલ હાઈવે પર પસાર થતા દરમિયાન વાહનમાં પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ બાકી હશે તો ટોલ પ્લાઝામાં પસાર થતાં જ વાહનનું ઓટોમેટિક સ્કેનિંગ થઈને ઈ- ચલાન ઈસ્યૂ થઈ જશે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલાન શરુ કરવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે.
ઈ- ચલાન જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશેઅહેવાલો અનુસાર, આગામી એક મહિનામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પરથી ઈ-ચલાન જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશે. આ એવી સિસ્ટમ હશે જેમાં વાહનમાં જો પીયુસી, ટેક્સ, વીમો કરાવવાનું બાકી હશે, તો વાહનના માલિકને ટોલ પ્લાઝા પરથી ઈ- ચલાન જનરેટ થઈ જશે. હાલ ગુજરાતમાં આ સિસ્ટમ ક્યારે લાગુ થશે તેની ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ સિસ્ટમનો અમલ થતાં જ રાજ્યના અંદાજે 10 લાખ કોમર્શિયલ વાહન તેમજ ખાનગી વાહન ચાલકોને સીધી અસર કરશે.
ઉલ્લેખનીય છે કે, ઈ-ચલાન ભરવાની સમય મર્યાદા નથી. પરંતુ વાહન સબંધિત કામગીરી કરવા જતાં પહેલા વાહન માલિકે ઈ- ચલાન કલીયર કરાવવું પડશે. પરિવહનની વેબસાઇટ પર નેટ બેંકિંગ, યુપીઆઈ, વોલેટ અને ડેબિટ- કાર્ડથી ભરી શકાય છે.