Jammu and Kashmir,તા.29
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો પર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપત્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો પણ પ્રવાસ માટે બંધ કરાયા છે.
પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકોને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા નહિંવત્ત થઈ છે. તેમજ ઉમર અબ્દુલ્લાહ સરકાર દ્વારા રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવતાં મુલાકાતીઓ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે. જેના લીધે સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે. તેમની કમાણીનો એકમાત્ર સ્રોત છીનવાઈ જતાં જીવનધોરણ પર ગંભીર અસર થઈ શકે છે.
આ હુમલાને વખોડી કાઢતાં લગભગ બે દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું. તેમણે ગઈકાલે વિધાનસભામાં ખાસ નિવેદન આપ્યું હતું કે, કઠુઆથી માંડી કુપવાડા સુધી તમામ સ્થાનિકોએ આ આતંકવાદીઓ વિરૂદ્ધ દેખાવો કર્યા છે. તેઓ નિર્દોષ લોકોના નરસંહાર વિરૂદ્ધ એકઠા થયા છે. હુમલાખોરોને આકરી સજા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધી શોધીને મારવાનું પ્રણ લીધું છે. ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી આકરી કામગીરી હાથ ધરી છે.
કાશ્મીરમાં આ પ્રવાસન સ્થળો અને રિસોર્ટ બંધ કરાતાં સ્થાનિકોની આજીવિકા પર જોખમ ઉભુ થયું છે. સ્થાનિકો પોતાની આવકનો મોટાભાગનો સ્રોત ટુરિઝમમાંથી મેળવે છે. પહલગામ આંતકવાદી હુમલામાં પર્યટકોને નિશાન બનાવાતા ઘણા પ્રવાસીઓએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે.