Uttarakhand,તા.01
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમવર્ષાને કારણે ઘણા રૂટ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી બરફ ફેલાયેલો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ત્યારબાદ 3 અને 4 માર્ચે પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. ગઈકાલે ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 55 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી 47 શ્રમિકોને બચાવાયા છે. બીજી તરફ આજે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બીજા 8 શ્રમિકોની શોધખોળ ચાલું છે.
શનિવારે દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી, ચમોલી, પિથોરાગઢ, બાગેશ્વર, અલમોડા, નૈનિતાલ અને ચંપાવતમાં વરસાદની શક્યતા છે. 2500 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા સ્થળોએ હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. હિમસ્ખલન અંગે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને બાગેશ્વરમાં હિમસ્ખલન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. આમાં ચમોલી જિલ્લો સૌથી વધુ જોખમમાં છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે ઉત્તરાખંડના માણામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમસ્ખલન થયું હતું. જેના કારણે BRO કેમ્પને નુકસાન થયું છે.
એવી માહિતી મળી હતી કે, અહીં લગભગ 55 શ્રમિકો હાજર હતા. હિમસ્ખલનને કારણે ઘણા માર્ગો બંધ થઈ ગયા છે. ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. સરહદી જિલ્લામાં વરસાદ અને હિમવર્ષાને કારણે, ગંગોત્રી હાઈવે પર ગંગાણીથી આગળનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગંગાણી અને ગંગોત્રી વચ્ચેના હાઇવે પર ડબરાણી ખાતે હિમસ્ખલન થયું છે.
હાલમાં ચમોલીમાં હવામાન સાફ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા બંધ છે. સવારે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામ ખાતે હાજર સેના અને ITBP ગુમ થયેલા શ્રમિકોને શોધી રહ્યા છે. અથાક પ્રયાસો બાદ ભારતીય સેનાએ વધુ 14 શ્રમિકોને બચાવ્યા છે. માણા હિમસ્ખલન સ્થળ પરથી એક શ્રમિક ગંભીર હાલતમાં મળી આવ્યો છે.
બચાવવામાં આવેલા શ્રમિકોને તબીબી સહાય અને વધુ સારવાર માટે માણા આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા છે. હાલમાં બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બરફ નીચે દટાયેલા 47 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 8 લોકોની શોધખોળ ચાલુ છે.
બીજી તરફ સીએમ ધામીએ માણા નજીક હિમસ્ખલનમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે ફોન પર વિગતવાર માહિતી લીધી છે. ગઈકાલે ખસેડવામાં આવેલા ગંભીર રીતે ઘાયલ કામદારોને ઉચ્ચ કેન્દ્રોમાં એરલિફ્ટ કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.