Jamnagar તા.23
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળના એન.આર.એલ.એમ.દ્વારા જામનગરના આંગણે આયોજિત રાજ્ય કક્ષાના સરસમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખુલ્લો મુક્યો હતો અને સરસ મેળાના વિવિધ સ્ટોલસની મુલાકાત લઈ ત્યાંથી ખરીદી કરી સમગ્ર રાજ્યના સખી મંડળોની બહેનોના ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બહેનો આર્થિક રીતે પગભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરી હતી. અને આ મંડળને લોન, સહાય, તાલીમ, માર્ગદર્શન તથા વેંચાણનું માધ્યમ પૂરું પાડી મહિલા સશક્તિકરણને નવી દિશા આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પણ આ જ પરંપરાને રાજ્ય સરકાર આવી ધપાવી રહી છે. અને આ પ્રકારના આયોજનો થકી મહિલાઓના ઉત્થાન માટે શ્રેષ્ઠતમ કામગીરી કરી રહી છે.મહિલાઓની શક્તિ અને કલાની સરકારે દેશ દુનિયામાં ઓળખ કરાવી છે જેના ફળરૂપે આજે સરસ મેળા જેવા માધ્યમોથી છેવાડાના બહેનો પણ પોતાના ઉત્પાદનો દેશ વિદેશમાં વહેંચતા થયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સ્વસહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે હેતુથી 28/10/2024 સુધી જે.એમ.સી.ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3, જામનગર ખાતે દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓના મહાકુંભ એવા પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરેલ છે.
જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાના જુદા જુદા ગામના 55 સ્વસહાય જૂથની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓના વેંચાણથી આજીવિકાની ઉત્તમ તક પૂરી પાડવાની સાથે ગ્રાહકોને પણ અવનવી વસ્તુઓ ખરીદવાનો લાભ આ મેળામાં મળી રહેશે. આ સરસ મેળામાં હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ફુડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝૂલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સિઝનેબલ મસાલા અને અથાણા, ઓર્ગેનીક સરબતો જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવનાર છે. આ મેળામાં આવનાર તમામ સ્વ-સહાય જૂથની બહેનોને રહેવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઇ બોરસદીયા, જી.એલ.પી.સી.ના જોઈન્ટ એમ.ડી.શોભના વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શારદા કાથડ, આગેવાન સર્વ રમેશભાઈ મુંગરા, ડો.વિનુભાઈ ભંડેરી, દિલીપભાઈ ભોજાણી, મહેન્દ્રસિંહ જાડેજા, ગીરીશભાઈ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.