New Delhi,તા.30
જો તમને પણ ચિંતા રહે છે કે તમારે વારંવાર ખર્ચાળ રિચાર્જ કરવું પડશે, તો તમારાં માટે સારાં સમાચાર છે. હવે તમારું સિમ કાર્ડ રિચાર્જ ન કરવામાં આવે તો પણ બંધ થશે નહીં. એક કરતાં વધુ સિમ કાર્ડ ધરાવતાં લોકો માટે આ સારા સમાચાર છે.
હવે રિચાર્જ ન કરો તો પણ, સિમ કાર્ડ 90 દિવસ સુધી ચાલું રહેશે. ભારતનાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ સિમ કાર્ડની માન્યતા સંબંધિત નવાં નિયમો જારી કર્યા છે. નવાં નિયમોનાં આગમન પછી, વપરાશકર્તાઓને વારંવાર રિચાર્જ કરવાની મુશ્કેલીથી સ્વતંત્રતા મળશે અને ખર્ચ પણ ઘટશે.
જો તમારા નંબર પર 90 દિવસ સુધી કોઈ રિચાર્જ ન થાય અને તેમાં 20 રૂપિયાનો પ્રીપેઇડ બેલેન્સ બાકી છે, તો પછી કંપની 20 રૂપિયા કાપશે અને 30 દિવસની વધારાની વેલીડીટી આપશે. આ રીતે તમારો નંબર રિચાર્જ કર્યા વિના 120 દિવસ સુધી સક્રિય રહી શકે છે.
કંપનીઓ શું ઓફર કરે છે
♦વોડાફોન – આઇડિયા
તમે રિચાર્જ વિના 90 દિવસ માટે સિમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ પછી તમારે ઓછામાં ઓછું 49 રૂપિયા રિચાર્જ કરવું પડશે.
એરટેલ : રિચાર્જ વિનાનું સિમ કાર્ડ 90 દિવસથી વધુ સમય સુધી સક્રિય રહેશે. આ પછી, તમને ફરીથી નંબર સક્રિય કરવા માટે 15 દિવસ મળશે. જો તમે આ પછી પણ રિચાર્જ નહીં કરો, તો સિમ કાર્ડ બંધ થઈ જશે.
જીયો : જો તમારી પાસે જીયોનો નંબર છે, તો તે રિચાર્જ વિના 90 દિવસ માટે સક્રિય રહેશે. આ સમયગાળા દરમિયાન, ઇનકમિંગ કોલની સુવિધા છેલ્લાં રિચાર્જ પ્લાન આધારે એક મહિના, એક અઠવાડિયું અથવા થોડાં દિવસો માટે હોઈ શકે છે.
બીએસએનએલ : બીએસએનએલનું સિમ કાર્ડ રિચાર્જ વિના 180 દિવસ સુધી સક્રિય રહેશે.